Tuesday, March 20, 2012

Once again full fledged illegal mining near Gir Sanctuary

20-03-2012
Once again full fledged illegal mining near Gir Sanctuary
Divya Bhaskar By Jwalant Chhaya/ Arvind Suchak, Rajkot
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-around-the-gir-forest-in-illegal-2993877.html

ગીર જંગલની આસપાસ ફરી ગેરકાયદે ખનન


ગીરના જંગલને વર્ષોથી કોરી ખાતી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ બંધ થઇ છે તેવો સરકારનો અને તંત્રનો દાવો છે. પરંતુ વાસ્તવિકતા જુદી છે. જંગલ અને દરિયાઇ પટ્ટીની આસપાસ આજે પણ આ પ્રવૃત્તિ ધમધમે છે. તે અંગેના 'દિવ્ય ભાસ્કર'ના લાઇવ રિપોર્ટનો ભાગ-૧


મધ્યપ્રદેશમાં આઇપીએસને ટ્રેક્ટર નીચે કચડીને ફરી એકવાર ખાણમાફિયાઓએ પોતાની આણનો પરચો આપ્યો છે. કેટલી હિંમત અને કેટલી ક્રૂરતાથી આ હત્યા થઇ? દેશે રીતસર એક આંચકો અનુભવ્યો પરંતુ જ્યાં સુધી ખાણમાફિયા અને ગેરકાયદે ખનનનો સવાલ છે ત્યાં સુધી આવી કોઇ ઘટના સૌરાષ્ટ્રમાં પણ બને તો નવાઇ લાગે તેવું નથી કારણ કે અહીં પણ ગેરકાયદે ખનન એટલી હદે થઇ રહ્યું છે.

લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કરોડોની કમાણી આ ખાણખનીજ પ્રવૃત્તિને લીધે થાય છે. અનેકના જીવ પર જોખમ છે કેટલાયને તેની અસર થઇ છે. સૌરાષ્ટ્રમાં દરિયાઇ પટ્ટી કે જંગલનો વિસ્તાર બન્ને આ ખનીજચોરીથી અસરગ્રસ્ત છે. આ પ્રવૃત્તિમાં મોટાં મોટાં રાજકીય માથાંઓની સંડોવણી રેકર્ડ પર પણ આવી ચૂકી છે.

ગીરના વનમાં થતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સંદર્ભે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ અંતર્ગત અરજી કરનાર અમિત જેઠવાનું મર્ડર થયું તે પછી હાઇકોર્ટે રાજ્ય સરકારને ખોંખારીને કહ્યું હતું કે 'બેઠા શું છો? પગલાં ભરો'. આજે અમિત જેઠવાના પિતા મણકાની તકલીફ સાથે,લંગડાતા પગે ગીર નેચર યુથ ક્લબ સંભાળી રહ્યા છે પરંતુ સરકાર હજી એટલી જ લૂલી છે. દૂર દેખાતી ગીરની વનરાજી,નાળિયેરીના ઊંચા વૃક્ષો અને દરિયાની ઠંડી હવાની વચ્ચે પણ કુદરતી સંપત્તિ એવો લાઇમ સ્ટોન બેફામ રીતે ચોરાઇ રહ્યો છે. કોડિનાર વિસ્તારમાં ચાલતી આ પ્રવૃત્તિ અંગેનો વિસ્તૃત અહેવાલ અહીં અપાયો છે.

વન વિસ્તારની આસપાસ ક્યાં ચાલે છે ખનીજ ચોરી?

કોડિનાર તાલુકાના નગડલા ગામના રહેવાસી જોધુભાઇ ગોલણભાઇ વાળાએ તાજેતરમાં જ ખાણ અને ખનિજ વિભાગના કમિશનરને કરેલી અરજી અનુસાર કોડિનારના નગડલાની સરકારી પડતર જમીન સર્વેનં. ૫૦માં ગામના સરપંચ કેશુભાઇ રામભાઇ સોલંકી અને નાગાજણભાઇ નામના ઇસમો ગેરકાયદે પથ્થર કાપવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ જમીનમાં લીઝની મંજૂરી નથી. તેમના વજિ જોડાણો પણ ગેરકાયદે છે.

તેમના ઉલ્લેખ અનુસાર નગડલા ગામનો આ વિસ્તાર ગીર સેન્ચ્યુરીમાં સમાવીષ્ટ છે. સ્થાનિક સૂત્રોનાજણાવ્યા મુજબ સર્વેનં. ૫૦માં ૬૪ ગુઠા જમીનમાં આ કામ થઇ રહ્યું છે. ઉપરાંત સર્વેનં. ૧૨૪ પૈકી ૧-૨માં જેની લીઝ પૂર્ણ થઇ ગઇ છે તેની બાજુમાં સર્વે નં. ૩૭ નજીક પણ પથ્થરો કપાઇ રહ્યાછે. ગૌચરને અડીને ખનન થઇ રહ્યું છે. રેલવે ક્રોસિંગ પાસે પણ ખનન માટે જમીન વેચી નંખાઇ છે.

કોડીનાર પંથકમાં ઠેર-ઠેર ખાણ

સરકાર તો એવો દાવો કરે છે કે, ખનીજ ચોરીની પ્રવૃત્તિ નિયંત્રિત છે પરંતુ નગડલા પાસે બે ખાણ તો દિવ્ય ભાસ્કરની ટીમે પોતે જોઇ છે ત્યાં તસવીરો પણ લેવાઇ છે. ખાણના સંચાલકો કહે છે કે, તેમની પાસે નકશા છે. મંજૂરી છે. પરંતુ મહત્વનું એ છે કે, ગીરના જંગલથી નજીક મંજૂરી હોય તો પણ ખનન કરી શકાતું નથી જ્યારે આ ખાણમાં પથ્થરોનું કટિંગ તા. ૧૮ માર્ચ રવિવારે સાંજે ૬ વાગ્યે પણ ચાલી રહ્યું હતું. એક પથ્થરો રૂપિયા ૩૨નો પડે તેવો જવાબ પણ સ્થાનિક વ્યક્તિએ આપ્યો હતો. આ ઉપરાંત અલીધાર, પીછવી, વિઠ્ઠલપુર, હડમતિયામાં ખાણ ફરી એકવાર શરૂ થઇ ગઇ છે.

વન વિભાગના પત્ર બની ગયા અરણ્ય રૂદન

ગીરના જંગલમાં થતી ખનીજ ચોરી અને ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ માટે વન વિભાગે ખાણ ખનિજ વિભાગનું સતત ધ્યાન દોર્યું હોવા છતાં કોઇ પરિણામ નહોતું મળ્યું. વન વિભાગે ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં અને ૨૦૧૦ના એપ્રિલમાં પાંચ પત્રો જિલ્લા કલેક્ટર અને માઇન્સ અને મિનરલ વિભાગને લખ્યા હતા. જેમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, વન વિસ્તાર-અભિયારણ્ય આસપાસના પાંચ કિલોમીટરની ત્રિજયામાં કંસારીયા, જામવાડા ગામ ઉપરાંત જામવંતરી, વાલાદર, ઘાટવડ, નગદલામાં ૫૫ ખાણ ગેરકાયદે છે.

પરંતુ વન વિભાગના આ પત્રો પછી ખાણ ખનિજ વિભાગે કોઇ જ દરકાર આ ફરિયાદ સંદર્ભે નહોતી કરી. અને આ જમીન રેવન્યુ વિસ્તારમાં હોવાથી કોઇ પગલાં લેવાનું વન વિભાગ માટે પણ શક્ય ન હતું. ફેબ્રુઆરી ૨૦૧૦ની ૨જી તારીખે જીયોલોજીસ્ટે જૂનાગઢના રેન્જ આઇજીને પત્ર લખીને જણાવ્યું હતું કે, પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. ફેબ્રુઆરીની ૧૩ અને ૧૪ તારીખે પીછવા પાસે ૧૪ જેટલાં વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો. રેન્જ આઇજી પ્રવિણ સિન્હાએ આ અંગે જૂનાગઢના એસપીને પણ પત્ર લખ્યો હતો.

નજીવી રોયલ્ટી સામે તોતીંગ નફો

ખનિજ ચોરી કરનાર પકડાય તો પણ તેને એટલા માટે કંઇ અસર થતી નથી કારણ કે, રોયલ્ટીના દર સાવ સામાન્ય છે તેની સામે તેઓનો નફો તોતીંગ છે. એક મેટ્રીકટન ખનિજની ચોરી પકડાય તો રૂપિયા ૨૪૦ રોયલ્ટી છે અને સરકાર તેનો ૧૦ ગણો દંડ વસૂલી શકે. એટલે તે રકમ વધુમાં વધુ રૂપિયા ૨૪૦૦ થાય. લાઇમ સ્ટોનની રોયલ્ટી રૂપિયા ૩૦૦, રેતીની રોયલ્ટીની રૂપિયા ૨૦, બ્લેક સ્ટોનની રોયલ્ટી રૂપિયા ૧૬૦ છે. જ્યારે ચોરી પકડાય અને દંડ થાય ત્યાં સુધીમાં તો લાખો રૂપિયા ખાણ માફિયા કમાઇ લે છે. એક પથ્થરની કિંમત રૂપિયા ૩૨ કે શરેરાસ ૨૫ ગણવામાં આવે તો પણ લાખો રૂપિયા મળ્યા પછી હજારોનો દંડ ભરવાનો થાય છે.

જંગલથી તદ્દન નજીક થાય છે ખનન

દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે નગડલાની મુલાકાત લીધી ત્યારે બે જગ્યાએ ધમધોકાર ખાણ ચાલું હતી અને પથ્થરો કાપવાનું પણ ચાલું હતું. પહેલાં તો પથ્થરનો ભાવ પૂછ્યો અને જ્યારે ત્યાં બાપુ નામના એક શખ્સને પૂછવામાં આવ્યું કે, આ તો ખેતર છે ને, ત્યારે તેમણે કહ્યું કે, આજુ બાજુ બધે જ ખેતર છે. ત્યારબાદ તેમને પૂછાયું કે, અહીં દીપડો, સિંહ આવે ત્યારે તેમણે કહ્યું કે, સાહેબ જંગલ છે તો આવે જ ને. અને આ હકીકત હતી.

આ ખાણથી નજર માંડીએ તે સાવ નજીક ગીરનું જંગલ નજરે પડતું હતું. નિયમ એવો છે કે, ગીરની આસપાસના ૧૦ કિલોમીટર વિસ્તારમાં હવે ખાણ પ્રવૃત્તિ પ્રતિબંધિત છે પરંતુ નગડલા કદાચ ગુજરાત સરકારના કાયદાની બહાર છે! આ નગડલા એટલે એ જ વિસ્તાર કે જ્યાં હમાલ હસનનું એન્કાઉન્ટર થયું હતું.

શા માટે અને કેવી રીતે ખનીજની ચોરી?

ખનીજ ચોરી શા માટે થાય છે? અન શું પિધ્ધતી છે? ગુજરાતમાં અંબુજા, સિધ્ધી, સાંધી, સહિતની મોટી સિમેન્ટ ફેકટરીઓ છે. તેમાં આ લાઇમસ્ટોનની સતત અને ભરપૂર જરૂરત રહે છે. આ લાઇમસ્ટોન ઘર આંગણે જ હોવાથી તેના ઉત્પાદકો કે, ખનન કરનારાઓ તરત જ ત્યાં પહોંચાડી શકે છે. ઉપરાંત સોડાએશના ઉદ્યોગમાં પણ તેની જરૂર રહે છે. અને ગુજરાતમાં મળતો લાઇમસ્ટોન આ બધી જ કંપનીઓને વેચવામાં આવે છે.

પોરબંદરમાંથી સોડાએશ કંપનીને રોજ ૨૫ લાખ ટન લાઇમસ્ટોન મોકલાય છે. સરકાર સિમેન્ટ કંપની કે, વ્યક્તિગત ધોરણે જમીન લીઝ પર આપે છે અને તેની રોયલ્ટી વસૂલવામાં આવે છે. પરંતુ ખનીજચોરો મોટેભાગે પોતાને મળતી મંજૂરી કરતાં વધારે જમીન ખોદી નાખે છે, ઉપરાંત મળેલી જમીનના બદલે સરકારી ખરાબો કે ગૌચરની જમીનમાંથી પણ લાઇમસ્ટોન ઉપાડી લે છે.

ખાણ પ્રવૃત્તિનો રક્તરંજિત ઈતિહાસ

સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ખનિજ ચોરી થાય છે તેમાં કોડિનાર વર્ષોથી લેવાતું નામ છે. અહીં જમીનમાં વિપુલ પ્રમાણમાં લાઇમ સ્ટોન છે તેનો ઉપયોગ સિમેન્ટ ફેકટરી, કન્સ્ટ્રકશન બિઝનેસ વગેરેમાં થતો આવ્યો છે. ગીરના જંગલને અડીને આવેલા આ વિસ્તારમાં લાંબા સમયથી ખાણ માંથી પથ્થરો ખાઢવાનું કામ ચાલે છે. જૂનાગઢના વર્તમાન સાંસદ દીનુ સોલંકીનું નામ અનેક વખત આ પ્રવૃત્તિ સાથે લેવાતું આવ્યું છે. ખાણ ખનિજ ખનન પ્રવૃત્તિ વિરુધ્ધ ગીર વિસ્તારના અમિત જેઠવાએ જ્યારે માહિતી અધિકારની અરજી કરી અને લાંબી ઝુંબેશ ચલાવી ત્યારે તેની હત્યા પણ કરાઇ હતી.

અમિત જેઠવાની અરજી પરથી હાઇકોર્ટે રાજ્ય સરકારને ગીર આસપાસ થતી ખનન પ્રવૃત્તિ રોકવા આદેશકર્યો હતો અને રેવન્યુ સર્વે ૧૩૧, ૧૩૧/એ માં ચાલતો ભરડિયો અંતે બંધ થયો હતો. જો કે, આ તો એક કેસની આસપાસની વિગત છે. બાકી આ વિસ્તારમાં સરકારી જમીન માંથી મૂલ્યવાન ખનિજ કાઢી-કાઢી તેને વેચવાનું કામ ચાલી રહ્યું છે. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ મોટેભાગે તો આમા પૈસાનો જ વહિવટ સમજી લે છે. પરંતુ કદાચ કોઇ આ પ્રવૃત્તિને રોકવા માગે તો પણ ધાકધમકી કે મારકૂટ જેવી બાબતો પણ નવાઇની વાત નથી.

સરકારે ફકત ખાતરી આપી છે, કામ થયા નથી

હાઇકોર્ટે આદેશ કર્યા પછી સરકારે કાગળ પર તો બધી તૈયારી કરી છે. ગેરકાયદે ખનન અટકાવવાના પગલાં ભરવાની ખાતરી પણ અપાઇ છે. પરંતુ ગીરના વન આસપાસ અને સમુદ્ર કાંઠાના વિસ્તારમાં ખનન ચાલું જ છે. પર્યાવરણને મોટું નુકસાન થઇ રહ્યું છે. અમે અમારી રીતે લડત આપીએ છીએ જો કે, અહીં કોઇપણ બાબતે પોલીસનો તો એક જ જવાબ હોય છે, 'જવા દોને યાર'. - બાલુભાઇ સોચા, સૌરાષ્ટ્ર પર્યાવરણ સંરક્ષણ પરિષદ

હાઇકોર્ટે શું કરવા સરકારને આદેશ કર્યો હતો?

અમિત જેઠવાની હત્યા બાદ ગુજરાત હાઇકોર્ટે ખનિજ પ્રવૃત્તિ અંગે નિયંત્રણ લાદીને રાજ્ય સરકારને કેદલાક આદેશ કર્યા હતા. તે અનુસાર ચફિ સેક્રેરટી, ખાણ ખનિજ વિભાગના, મહેસૂલના અગ્ર સચિવો તથા ગૃહવિભાગના ખાસ સચિવ સહિતના ૧૦ અધિકારીઓની સમિતિ બનાવવાની હતી. તથા ગેરકાયદે ખનન ચાલતું નથી તેની તપાસ કરવાની હતી.

તંત્ર સંપૂર્ણ સક્રિય છે

કોઇપણ વ્યક્તિ પોતાની માલિકીની જમીનમાં પણ જંગલ વિસ્તારની આસપાસ ખનન કરી શકતાં નથી. અમે અત્યારે આ બાબતે સતર્ક છીએ અમારી જાણમાં આવી કોઇ પ્રવૃત્તિ થતી નથી. જંગલની આસપાસ જે નિયત થયેલો વિસ્તાર છે ત્યાં લીઝ વાળી કે, માલિકીની જમિનમાં પણ ખાનન કરવું ગેરકાયદે છે. અમારી તપાસ આ અંગે ચાલું હોય છે. - એ.કે. મૂળે, ભુસ્તર શાસ્ત્રી જૂનાગઢ

શું છે ગુજરાતના ખનીજની વિશેષતા?

ગુજરાતમાં ઓખાથી ભાવનગર સુધીની સમુદ્ર પટ્ટી લાઇમ સ્ટોનનું હબ છે. ૬૦૦ કિલોમીટરના આ વિસ્તારમાં ૧૩૨૯૪ હેકટરમાં ૩૭૨ જેટલી લીઝ ફેલાયેલી છે. અહીં ઉચ્ચ ગુણવત્તાનો લાઇમસ્ટોન કુદરતી રીતે મળે છે. જૂનાગઢમાં ચોરવાડ, પોરબંદરમાં રાણાવાવ, કુતિયાણા, માધવપુર જામનગરમાં કલ્યાણપુર, કાલાવડ, દ્વારકા સહિતના વિસ્તારમાં લાઇમસ્ટોન છે. ભારતમાં મળતાં ૮૯ પૈકી ૩૩ ખનીજ ગુજરાતમાં મળે છે. ખનીજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે છે. અગર, ચોક, પરટાઇલ, ફલી ખનીજ ફકત અહીં જ થાય છે. અને ફોલોરાઇટ તથા સિલીક સેન્ટ ખનિજ મળતાં હોય તેમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. ભરૂચમાં લીગ્નાઇટ અને ખંભાળિયામાં બોક્સાઇટ મળે છે. ગુજરાતભરમાં આ પ્રવૃત્તિ ધમધમે છે.

કરોડોનો ભ્રષ્ટાચાર

ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ બેફામ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે તે નવી વાત નથી. ખાણ માફિયાઓના સૌથી મોટા લાભાર્થીમાં ખાણ ખનિજ વિભાગનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વીજ કનેકશન માટે પીજીવીસીએલ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બટકું રોટલો આરટીઓને નાખવામાં આવે છે. અલબત્ત આ રકમ ઘણી મોટી હોય છે. પરંતુ ખાણ માફિયાઓને થતાં ફાયદાની સામે આ હપ્તાઓ સામાન્ય હોય છે.

No comments:

Previous Posts